ગુલાબી ઈયળનો ઉપદ્રવ ટાળવા આગોતરું વાવેતર ન કરવા સલાહ
રાજકોટ, તા. ૧૩ જૂન – ચોમાસું આવી પહોંચ્યું છે અને ખેડૂતો વાવણીની તૈયારીમાં લાગ્યા છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કપાસના વાવેતરમાં રાખવાની માર્ગદર્શક સલાહો જારી કરવામાં આવી છે.
જે મુજબ, કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ ના થાય તે માટે ઓરવીને આગોતરું વાવેતર કરવું નહીં. વાવણીલાયક વરસાદ સમયે જ વાવેતર કરવું. કપાસના પાકમાં ઈયળોમાં બી.ટી. જીન સામે પ્રતિકારક શક્તિ ન આવે તે માટે બિયારણના પેકેટ સાથે આપવામાં આવતું નોન બીટી (રેફ્યુજી) બીજનું વાવેતર અવશ્ય કરવું.
અનિયમિત વરસાદથી થતું જોખમ ઓછું કરવા કપાસના પાકમાં તલ, મગફળી, સોયાબીન, કઠોળ જેવા પાકોનું આંતર પાક તરીકે વાવેતરનું આયોજન કરવું.
કપાસ બોલગાર્ડની પ્રમાણિત જાતોમાં, વહેલી પાકતી જાતોમાં એ.ટી.એમ., ફર્સ્ટ ક્લાસ, ૭૫૭૬, સુપર્બ, જાદુ, જય, નિયો, સંકેત, નવાબ, અંબુજા, ભરોસા (સીક્કર બીજ), સુરક્ષા, બળવાન, આર.સી.એચ-૭૭૯નો સમાવેશ થાય છે. જ્યારે મધ્યમ મોડી પાકતી જાતોમાં ગુજરાત સંકર-૬, એગ્રીટોપ-૪૪૪, એગ્રીટોપ-૭૭૭, સોલાર-૭૭, મલ્લિકા, આર.સી.એચ.-૬૫૯, પ્રવર્ધન, ગાંડીવ (સીક્કર બીજ) અજીત-૫, ૧૫૫, ૧૧૧, ૧૧૫૫નો સમાવેશ થાય છે.