ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો છેલ્લા ઘણા સમયથી રૂ. 20000 ફિક્સ કમિશનની માગ કરી રહ્યા છે. તાજેતરમાં સરકારે આ માગ સ્વીકારી પણ હતી. જોકે, બાદમાં સરકારે અચાનક 300 કરતા ઓછા કાર્ડ હોય તે વેપારીઓને જ કમિશન આપવાનું જાહેર કર્યું છે. જેને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિવાળીનાં તહેવારો પૂર્વે જ સસ્તા અનાજના દુકાનદારો દ્વારા અસહકાર આંદોલન શરૂ કર્યું છે. આજથી તમામ સસ્તા અનાજની દુકાનો બંધ રહેતા રાશનકાર્ડ ધરાવતા લાખો ગરીબોની દિવાળી બગડે તેવી શક્યતા છે.ત્યારે આ અંગે સિટિ ન્યૂઝ સાથે વાત કરતા રાજકોટ ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં 700 દુકાનદાર પાસે 2.89 લાખ ગ્રાહકો અને ગુજરાતમાં 17 હજાર વેપારી પાસે 72 લાખ જેટલા ગ્રાહક છે. તાજેતરમાં રાજ્ય સરકારે રેશનિંગનાં વેપારીઓને માસિક રૂ.20 હજાર કમિશન આપવાની જાહેરાત કર્યા બાદ તુરંત જ રાજ્યનાં પૂરવઠા વિભાગનાં અધિકારીઓએ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં માત્ર 300 કે તેનાથી ઓછા કાર્ડ ધરાવતા વેપારીઓને જ રૂ. 20,000 કમિશન આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને 350 કે 400 ગ્રાહક ધરાવતા વેપારીઓને 12-15 હજાર કમિશન મળી રહ્યું છે.