રાજકોટ તા. ૦૩ જૂન – રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર, ગોધરા તેમજ ખરીફ ઋતુપૂર્વ તાલીમ મેન્યુઅલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્ત્રોત પરથી ખેડૂતોએ ખરીફ મકાઇના પાકમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં / વાવણી સમયે લેવાના પગલાં સૂચવવામાં આવ્યા છે.
– જમીનમાં ઊંડી ખેડ દિવસ દરમિયાન કરવી જોઈએ. જેથી, તેમાં રહેલા કોશેટા બહાર આવતા પક્ષીઓ દ્વારા કુદરતી નિયંત્રણ મળશે.
– તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણ વાપરવું અને રોગપ્રતિકારક જાતો પસંદ કરવી જોઈએ.
– પ્રાકૃતિક સહીત ખેતી પદ્ધતિનો સમયસર ઉપયોગ કરવો જોઈએ.
– એક જ જમીન પર મકાઇ વારંવાર ન વાવતા પાકની ફેરબદલી અપનાવવી જોઈએ.
– પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ પ્રમાણસર જ કરવો જોઈએ.
– મકાઈમાં પાછોતરો સૂકારો રોગના નિયંત્રણ માટે સારા નિતારવાળી જમીન વાવણી માટે પસંદ કરવી તેમજ જમીનનું તાપમાન નીચું રહે, તે માટે ટૂંકા ગાળે પિયત આપવાથી રોગમાં ઘટાડો થાય છે.
– મકાઈમાં ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા આંતરપાક તરીકે વાવવા જોઈએ. તેમજ ઉપદ્રવ ઓછો રહે, તે માટે મકાઈની વાવણી તા. ૧૫ જૂનથી તા. ૩૦ જૂન સુધીમાં કરવી જોઈએ.
– વાવેતર પહેલાં લીંબોળીનો ખોળ ૦૧ ટન પ્રતિ હેક્ટર નાખવું જોઈએ.
– પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ (ફોલ આર્મીવોર્મ)ના નિયંત્રણ માટે ઓછી સંવેદનશીલ જાતો જેવી કે ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૧ (GAYMH-1) અને ગુજરાત આણંદ પીળી મકાઇ હાઇબ્રીડ-૩ (GAYMH-3) નું વાવેતર કરવું.
– પાનના સુકારા અને તડછારો રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે ગુ.આ.પી. સં.મ.-૧, ગુ.આ.સ.સં.મ.-૨, ગુ.આ.પી.સં.મ.-૩, ગંગા સફેદ-૨, ગંગા સફેદ-૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન-૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી જાતોની વાવણી કરવી જોઈએ.
– ગાભમારા / સાંઠાની ઈયળના વ્યવસ્થાપન માટે બિયારણનો દર વધારે રાખવો જોઈએ. જેથી, શરૂઆતમાં ઉપદ્રવ લાગેલા છોડ ઉપાડી ઈયળ સહિત નાશ કરવાથી ઉપદ્રવ ઘટાડી શકાય અને એકમ વિસ્તારમાં છોડની સંખ્યા સાચવી શકાય.
– પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી, બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું જોઈએ. વાવેતર સમયે ૧૦૦ કિલો છાણિયું ખાતર અને ૧૦૦ કિલો ઘન જીવામૃત ભેળવીને ૦૧ એકર જમીનમાં નાખવું જોઈએ.
– મકાઈમાં બીજનો કોહવારો, પાનનો સૂકારો અને ઉગતા છોડનો સૂકારો અટકાવવા માટે બીજને જૈવિક ફૂગનાશક તરીકે ટ્રાયકોડર્મા ૦૬ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ માવજત આપીને વાવવા અથવા જરૂરિયાતને ધ્યાને લઇ, ફૂગનાશક દવા તરીકે થાયરમ અથવા કાર્બેન્ડેઝિમ ૦૨-૦૩ ગ્રામ પ્રતિ ૦૧ કિલોગ્રામ બીજની માવજત આપીને વાવણી કરવી જોઈએ.
– ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૯.૮%+ થાયામેથોકઝામ ૧૯.૮% એફ.એસ.,૦૬ મિ.લિ. / કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી ભેળવી બીજ માવજત આપી છાંયડે સૂકવી વાવેતર કરવું જોઈએ.
આ અંગે વધુ જાણકારી માટે નજીકના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) / નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે.