અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ: 105ના મોત, મોદી-શાહ અમદાવાદ રવાના
અમદાવાદ, [12-06-2025]: અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં આજે બપોરે 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થતા હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા હોવાની એર ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ દુર્ભાગ્યપૂર્ણ વિમાનમાં સવાર હતા, પરંતુ તેઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાનું આ પ્લેન બપોરે 1.38 વાગ્યે ટેકઓફ થયું હતું અને માત્ર બે મિનિટમાં, એટલે કે 1.40 વાગ્યે, એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. આ પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા, જેમાં 200 જેટલા મુસાફરો અને કાર્ગો પણ હતું. પ્લેન ક્રેશ થતા જ ઘટનાસ્થળે ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા અને નજીકની બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી.
બચાવ કામગીરી અને રાહત કાર્ય તેજ: દુર્ઘટનાની જાણ થતા જ ફાયર અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જેથી બચાવ કામગીરી ઝડપી બની શકે. મુસાફરોના પરિવારજનોને સિવિલ હોસ્પિટલમાં મોકલાઈ રહ્યા છે. મૃતદેહોને ઢાંકવા માટે સફેદ કપડાંનો જથ્થો પણ લવાયો છે, જે દર્શાવે છે કે જાનહાનિનો આંકડો મોટો છે. વડોદરાથી NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ત્રણ ટીમો પણ અમદાવાદ રવાના કરવામાં આવી છે. ઘટનાસ્થળે આર્મીએ પણ મોરચો સંભાળી લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવાના, કંટ્રોલ રૂમ કાર્યરત: આ ગંભીર ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા એરપોર્ટથી ગાંધીનગર હેલિકોપ્ટર દ્વારા રવાના થયા છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
પ્લેનમાં સવાર મુસાફરોની વિગતો : પ્લેનમાં 217 પુખ્ત વયના મુસાફરો, 11 બાળકો અને 2 નવજાત શિશુ સહિત કુલ 242 મુસાફરો સવાર હતા. જેમાં 169 ભારતીયો, 53 બ્રિટીશરો, 1 કેનેડીયન અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે.
વિમાનમાં બે પાઇલટ સહિત 10 ક્રૂ સભ્યો હતા. પાઇલટ સુમિત સુબ્બરવાલ, જેમને 8200 કલાકનો અનુભવ હતો, તેમણે છેલ્લી ઘડીએ “મેડે” કોલ કર્યો હતો. “મેડે” એ એક આંતરરાષ્ટ્રીય કટોકટી કોલ છે જે પાઇલટ ગંભીર મુશ્કેલીમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય ત્યારે મોકલે છે. એટીસી (એર ટ્રાફિક કંટ્રોલ) મુજબ, વિમાન અમદાવાદથી રનવે 23 પરથી 13:39 ભારતીય સમય (08:09 યુટીસી) વાગ્યે રવાના થયું હતું. તેમણે એટીસીને મેડે કોલ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ એટીસી દ્વારા કરવામાં આવેલા કોલનો કોઈ જવાબ વિમાન દ્વારા આપવામાં આવ્યો ન હતો. રનવે 23 પરથી પ્રસ્થાન કર્યા પછી તરત જ વિમાન એરપોર્ટની બહાર જમીન પર પડી ગયું હતું. અકસ્માત સ્થળ પરથી ભારે કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.