વિકાસની સાથેસાથે કલા અને સંસ્કૃતિની વિરાસતને પણ રાજકોટ સાચવી રહ્યું છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
રાજકોટને રૂ. ૫.૯૦ કરોડના ખર્ચે નિર્મિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની ભેટ આપતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રીશ્રીએ કલાકારો સાથે સીધો સંવાદ સાધ્યો : પેઈન્ટિંગ્સને રસપૂર્વક નિહાળીને કલાને બિરદાવી : પરિસરમાં સિંદૂરના છોડનું વાવેતર કર્યું
રાજકોટ તા. ૦૬ જૂન – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. ૫.૯૦ કરોડના ખર્ચે નિર્મિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના એક્ઝીબીશન હોલની તક્તીનું અનાવરણ કરીને લોકાર્પણ કરાયું હતું.
આ તકે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કલાકારો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિકાસની સાથે—સાથે કલા અને સંસ્કૃતિની વિરાસતને પણ રાજકોટ સાચવી રહ્યું છે. કળાના માધ્યમથી સમાજનું સાચું ચિત્રણ રજૂ કરવાની તાકાત કલાકારો પાસે છે. આ પ્રકારના આયોજનને લઈને કલાકારોનો રાજીપો સંતોષપ્રદ છે.
આ સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીને શહેરી વિકાસ દર્શાવતું પેઇન્ટિંગ આપીને તેમનું અભિવાદન કરાયું હતું. આ તકે વરિષ્ઠ કલાકારો શ્રી કિશોરભાઈ ત્રિવેદી, શ્રી ઉમેશભાઈ ક્યાડા, શ્રી મીતાબેન ભટ્ટ, શ્રી વિરેશભાઈ દેસાઈ અને શ્રી સુરેશભાઈ રાવલએ મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં આર્ટ ગેલેરીનું પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. કળા ક્ષેત્રના વિદ્યાર્થી શ્રી શિવાંગીબેન હરખાણી સાથે વાત કરતા તેમણે પોતાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત અંગેના સંસ્મરણો જણાવ્યા હતા. આ તકે વરિષ્ઠ કલાકારો, યુવા કલાકારો, કળા ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને કુલ ૫૨ જેટલા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આર્ટ ગેલેરીના પરિસરમાં સિંદૂરના છોડનું વાવેતર કર્યું હતું અને ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગેલેરીની મુલાકાત લઈને પ્રદર્શિત કરાયેલા પેઈન્ટિંગ્સ નિહાળીને કલાકારોની કલાને બિરદાવી હતી તેમજ ગેલેરીનું નિરીક્ષણ કરીને આવશ્યક સૂચનો આપ્યા હતાં.
આ પ્રસંગે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, સાંસદો સર્વ શ્રી પરસોત્તમભાઈ રુપાલા, શ્રી રામભાઈ મોકરીયા અને શ્રી કેસરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા,
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, અગ્રણીઓ શ્રી રાજુભાઈ ધ્રુવ, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી માધવભાઈ ભટ્ટ, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષારભાઈ સુમેરા, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી.શ્રી જગદીશ બાંગરવા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં ઉપલબ્ધ સુવિધાઓ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં રેસકોર્સ મેદાન ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી લગભગ ચારેક દસકા પૂર્વે બનાવવામાં આવી હતી. તે જ સ્થાને નવી નિર્માણ પામેલી સેન્ટ્રલી એ.સી. આર્ટ ગેલેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૫૦૮૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા, ફર્સ્ટ ફ્લોર પર બે ૨૦૦૦ ચોરસ ફૂટ કાર્પેટ એરિયા તથા ૬૪૫ ચોરસ ફૂટ કાર્પેટ એરિયામાં કુલ ચાર એક્ઝીબીશન હોલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, આર્ટ ગેલેરીમાં આકર્ષક લાઈટિંગ, ફાયર સિસ્ટમ, લિફ્ટ, સ્ટોર રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.