28.8 C
Ahmedabad
Monday, June 16, 2025
spot_imgspot_imgspot_img

રાજ્યની મેડિકલ-ડેન્ટલ કોલેજોમાં જુલાઈના પ્રથમ સપ્તાહથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે: NEETમાં ઓછા વિદ્યાર્થીઓ પાસ થતાં મેરિટ નીચું જશે


ધો. 12 સાયન્સ પછી મેડિકલ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાયેલી NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)નું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યમાં ગત વર્ષ કરતાં આશરે 7 હજાર વિદ્યાર્થીઓ ઓછા પાસ થયા હોવાથી, માત્ર મેડિકલ જ નહીં પરંતુ ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી જેવા કોર્સમાં પણ મેરિટ નીચું જવાની સંભાવના છે. પ્રવેશ સમિતિ દ્વારા આગામી જુલાઈના પહેલા સપ્તાહમાં પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ગત વર્ષે રાજ્યમાં 57,232 વિદ્યાર્થીઓ NEET ક્વોલિફાય થયા હતા, તેની સામે ચાલુ વર્ષે આ આંકડો 50,040 વિદ્યાર્થીઓ પર અટક્યો છે. આ ઉપરાંત, ગત વર્ષે 720 માંથી 720 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 16 હતી, જ્યારે ચાલુ વર્ષે એકપણ વિદ્યાર્થીને 720 માર્ક્સ મળ્યા નથી. મેડિકલ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત વર્ષે બી.જે. મેડિકલ કોલેજમાં છેલ્લો પ્રવેશ 699 માર્કસ સાથે થયો હતો, પરંતુ આ વર્ષે ઓલ ઇન્ડિયામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને પણ આટલા માર્ક્સ ન હોવાથી મેરિટમાં ભારે ઘટાડો થવાનું નિશ્ચિત છે. બી.જે. મેડિકલ સિવાયની બાકીની મેડિકલ કોલેજોમાં પણ મેરિટ વધુ નીચું જશે. એટલું જ નહીં, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ મેરિટમાં 50 માર્કસનો તફાવત આવવાની શક્યતા છે.

હાલમાં મેડિકલ સહિતના NEET આધારિત કોર્સમાં 16,246 બેઠકો ઉપલબ્ધ છે, જ્યારે પેરા મેડિકલમાં 50 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ છે. આમ, મેડિકલ અને પેરા મેડિકલ બંને કોર્સની બેઠકો ગણવામાં આવે તો 70 હજારથી વધુ બેઠકો થાય છે. આ સ્થિતિમાં, NEET ક્વોલિફાય થનારા તમામ વિદ્યાર્થીઓને NEET આધારિત કોર્સમાં પ્રવેશ ન મળે તો પણ પેરા મેડિકલના કોઈને કોઈ કોર્સમાં પ્રવેશ મળી જશે તે નિશ્ચિત છે.

પ્રવેશ સમિતિના સભ્યોનું કહેવું છે કે જૂનના અંત સુધીમાં તમામ વિદ્યાર્થીઓના ડેટા ઉપલબ્ધ થયા બાદ જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં મેડિકલ પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ચાલુ વર્ષે NEET માં ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ મેડિકલ ઉપરાંત ડેન્ટલ, આયુર્વેદ કે હોમિયોપેથીમાં પ્રવેશ માટે પણ પ્રયાસ કરી શકશે. હાલની સ્થિતિમાં મેડિકલમાં 6,958 બેઠકો, ડેન્ટલમાં 1,255, આયુર્વેદમાં 3,473 અને હોમિયોપેથીમાં 4,560 મળીને કુલ 16,246 બેઠકો છે. આગામી દિવસોમાં મેડિકલમાં વધુ ત્રણ કોલેજોને મંજૂરી મળવાની શક્યતા હોવાથી 300 બેઠકોનો વધારો થઈ શકે છે. આ જ રીતે, આયુર્વેદ અને હોમિયોપેથીમાં પણ બેઠકો વધવાની સંભાવના છે.

 

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -