રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટના પ્રવાસે આવ્યા છે. આ તકે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ શહેર-જિલ્લામાં થયેલા રૂ. 343.39 કરોડના 13 વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂ. 213.79 કરોડના 28 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ શહેર-જિલ્લાને કુલ રૂપિયા 557.18 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ મળશે. રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે સાંજે 4 કલાકથી આ લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીના હસ્તે આજે રાજકોટ જિલ્લાના શહેરી, ગ્રામીણ, વાણિજ્ય, ઔદ્યોગિક તથા કૃષિ વિસ્તારોને અવિરત વીજપુરવઠો પૂરો પાડવા, ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ. 238.11 કરોડના ખર્ચે 66 કે.વી.ના નવા સાત સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જસદણ ખાતે સાત એકરમાં રૂ. 8.40 કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું રમત સંકુલ નિર્માણ પામ્યું છે. રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા ખીરસરા-લોધિકા રોડનું રૂ. 6.68 કરોડના ખર્ચે રિ-સર્ફેસિંગ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સમાં રૂ. 5.91 કરોડના ખર્ચે અદ્યતન આર્ટ ગેલેરીનું નિર્માણ કરાયું છે. આ તમામ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે.