રાજકોટમાં મનપા દ્વારા જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી ચાલુ છે ત્યારે કમિશ્નર આનંદ પટેલે એક દાખલા રૂપ કાર્યવાહીમાં આવા વેપારીઓની દુકાન સીલ કરવાના હુકમ છોડતા ફફડાટ ફેલાયો છે. સોલીડ વેસ્ટ વિભાગે ત્રિકોણ બાગ ખાતે આવેલી મચ્છોધણી ચાની હોટલને આવા જ કારણોથી સીલ કરાવી દેતા આ પ્રકારનો ધંધો કરતા વેપારીઓ ને સ્વચ્છતાના ધોરણો પાળવાનો સંદેશો પણ મળી ગયો છે. જેમાં ત્રિકોણબાગ ખાતે આવેલ મચ્છોધણી હોટલ દ્વારા જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, તા. 23ના રોજ આ બાબતે નોટીસ આપી રૂ.500ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના છતાં ગઇકાલે હોટલની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી ગત સાંજે 7 કલાકે મચ્છોધણી હોટલના સંચાલકોને નોટીસ આપીને હોટલને સીલ કરી દેવામાં આવી છે. આ અંગે કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ રાખવા ઉઠાવતી જહેમત વચ્ચે આ અભિયાનમાં લોકો પણ ફરજ બજાવે તે અપેક્ષિત છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે, આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. તેમજ આવા આસામીઓ સામે ધી જી. પી. એમ. સી. એક્ટ – 1949ની કલમ – 376 એ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી નાયબ કમિશનર ધામેલીયાના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર પરમાર, ઇન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર બારીયા તથા નાયબ પર્યાવરણ ઇજનેર જીંજાળા તેમજ વોર્ડની સેનીટેશન ટીમ દ્વારા કરવામાં આવી હતી.