રાજકોટમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે આગામી તા.27ને શુક્રવારે બપોરના ત્રણ વાગ્યે અગ્યારમી શરીફનું ભવ્ય ઝુલુસ નિકળશે જેમાં એક લાખ મુસ્લિમ બિરાદરો જોડાશે.આ અંગે દુબલીશા કબ્રસ્તાન ખાતે શહેરના જુદા જુદા વિસ્તારોના મુસ્લિમ સમાજના આગેવોનોની બેઠક આ ઝલુસના સંચાલક અને ઇન્ચાર્જ મહેબુબભાઇ અજમેરીના પ્રમુખ સ્થાને મળી હતી. જેમાં ઝુલુસની વ્યવસ્થા માટે ખાસ કમિટિની રચના કરવામાં આવી હતી આ ઝુલુસની આગેવાની સૈયદ સાદાતોની રહેશે. આ બાબતે પાદે ગોષુલવરા કમિટિના મહેબુબભાઇ અજમેરી તેમજ સૈયદ એજાઝબાબુ, હબીબભાઇ કટારીયા, ફારુકભાઇ કટારીયા સહિતના મુસ્લીમ સમાજના આગેવાનોએ આજે સાંજ સમાચારની લીધેલી મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે અગ્યારમી શરીફનું ઝુલુસ શુક્રવારે બપોરના 3 કલાકે રામનાથપરા ચોક ખાતેથી અદબો એહતરામની સાથે નીકળશે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં શણગારેલા વાહનો સાથે મુસ્લિમ બિરાદરો જોડાશે. તેમજ આ ઝુલુસમાં નિશ્ર્ચિત કરેલા રુટ પર ફરી હઝરત ગેબનશાહ પીરની દરગાહ ખાતે આવી પહોંચતા ત્યાં સલાતો સલામ પઢી ઝુલુસનું વિસર્જન કરવામાં આવશે. મુસ્લિમ બિરાદરોને શુક્રવારે અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખી ઝુલુસમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આ ઝુલુસ માટે પાદે ગોષુલવરા કમિટિની રચના કરવામાં આવી છે.