અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામમંદિરમાં રામલલ્લાનું સ્થાપન કરાશે. જેના વધામણાં કરવા માટે રાજકોટમાં 17 થી 24 જાન્યુઆરીના રોજ ‘ભાગવત કે રામ’ કથાનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે. જેના વ્યાસાસને રમેશભાઈ ઓઝા બિરાજમાન થશે. રાજકોટમાં ભાગવત કથાના આયોજન પહેલા આજે પરમાત્માનંદ સરસ્વતી દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. ભાગવત કથાનો લાભ વધુમાં વધુ લોકો લે તે માટે કાર્યાલય ખુલ્લું મુકાયું. કથા માટે 1 લાખ આમંત્રણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ કથા દરમિયાન રાજકોટમાં કથા સ્થળે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ નિહાળી શકાશે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજક રામભાઇ મોકરિયાના જણાવ્યાનુસાર રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય સમિયાણામાં 10થી વધુ ઋષિમુનિ તેમજ તીર્થ સ્થળોના નામથી ખંડ બનાવવામાં આવશે. સિનિયર સિટિઝન માટે અલગથી ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે. કથાનું રસપાન કરવા માટે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી લોકો આવશે. કથા પૂર્વે વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળશે. ભાગવત કથા દરમિયાન રાજકોટમાં પણ અયોધ્યા જેવો માહોલ બને તે પ્રકારનું પ્રયત્ન કરાશે.