આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિતે રોજ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. જેને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન સુરક્ષા સાથે બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. આઅ સાથે રાજકોટમાં 22 કિલોમીટરની રથયાત્રામાં પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. અને રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ કર્મચારીઓ મળી કુલ 1740 જવાનો બંદોબસ્તમાં તહેનાત જોવા મળી રહ્યા છે. સમગ્ર રથયાત્રાનું આયોજન રાજકોટમાં નાનામવા ખાતે આવેલા કૈલાશધામ આશ્રમમા બિરાજતા ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી આજે સવારે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશ્રમ ખાતે પૂજા આરતી કરી હતી અને બાદમાં આ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને જે રથમાં બેસાડવામાં આવ્યા તે રથને અદભુત રીતે શણગારવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં છેલ્લા 15 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે જેમાં નાના મોટા સૌ કોઈ અનેરી શ્રધા સાથે આ રથયાત્રા માં જોડાઈ છે. તેમજ રથયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 કિલોમીટરની આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ સાંજના સમયે સમાપન કરવામાં આવ્યું હતું.