રાજકોટ તા.૧૩ જૂન- ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા.૧૯ જૂનના રોજ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર યોજાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મેદસ્વિતાથી મુક્તિના આહ્વાનને અનુસરી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી ૨૧ જૂનના યોગ દિવસ સુધી યોગ-પ્રાણાયામ દ્વારા મેદસ્વિતાને દૂર કરવાની દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે યોગનો અમૂલ્ય વારસો ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચે અને લોકોમાં શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે જાગૃતિ કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આગામી તા.૧૯ જૂનના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સવારે ૫:૩૦ થી ૭:૩૦ દરમ્યાન યોગ શિબિર યોજાશે. આ યોગ શિબિરમાં શહેરીજનો ઉપસ્થિત રહી યોગ શિબિરને સફળ બનાવે તેવી અપીલ કરવામાં આવી છે.