રાજકોટ શહેર અને જિલ્લાના તમામ ડેમો હાલ તળિયે છે. મોટાભાગના ડેમોમાં માત્ર 25-30% જળ જથ્થો બચ્યો છે. જો કે, આજી-1 અને ન્યારી-1 હાલમાં સૌની યોજના હેઠળ ભરાયા હોવાથી તેમાં 60%થી વધુ પાણી ઉપલબ્ધ છે. ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં ચોમાસાને લઈ વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બની ગયું છે. અને આ માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. કંટ્રોલરૂમો પણ અત્યારથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં પુરની કે વાવાઝોડાની શક્યતા નહીંવત હોવાથી એનડીઆરએફ કે એસડીઆરએફની કોઈ ટીમો બોલાવવામાં આવી નહીં હોવાનું જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે આગામી ચોમાસા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી કામગીરી કરવામાં આવી છે. કોર્પોરેશનનાં ડિસ્ટ્રીકટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની સમીક્ષા કરવામાં આવી ચૂકી છે. અને ગુજરાત સરકારની એસોપી મુજબ વિવિધ અધિકારીઓને જરૂરી કામો સોંપી દઈ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. શહેર તેમજ જિલ્લામાં ક્યાંય પણ ભારે વરસાદ પડે તો કોઈપણ પ્રકારની જાનહાની કે નુક્સાની ન થાય તે માટે જરૂરી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હોવાથી હાલ વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.