અમદાવાદ હાઇવે ઉપર અનાથ શિશુ મળી આવતા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયું
રાજકોટ તા.૧૩ જૂન – આરોગ્યની સુખાકારી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકારે આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી કરી છે. જેમાં ૧૦૮ એમ્યુલેન્સ સેવા સંબંધિત સ્થળે પહોંચીને દર્દીઓને સારવાર અર્થે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર ગણતરીની મિનિટોમાં પહોંચાડીને સરાહનીય કામગીરી કરી રહી છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદ હાઇવે પર સાયલા વિસ્તારની શ્રીજી હોટલ નજીક એક નવજાત શિશુ મળી આવતાં જાગૃત નાગરિકે ફોન દ્વારા ૧૦૮ ને ફોન કર્યો હતો. આથી ૧૦૮ના ઈ.એમ.ટી. શ્રી બળવંત રોજાસરા અને ડ્રાઈવરશ્રી વિજયસિંહ જાડેજા સ્થળ પહોંચ્યા હતા.
આ સમયે સ્થળ પર અનેક લોકો ઉમટી પડ્યા હતા. ૧૦૮ ટીમ દ્વારા નવજાત શિશુને તપાસ કરતા જાણવા મળ્યું કે, નવજાત શિશુ જીવંત પુરુષ છે અને ખુલ્લા વાતાવરણમાં હોવાથી શિશુનું શરીર ગરમ હતું તેમજ ધૂળ તથા માટી શરીર પર લાગેલી હતી. ૧૦૮ની ટીમ દ્વારા શિશુના શરીરની સફાઈ કરીને કોર્ડ ક્લેમ્પ કરી નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ જણાતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન આપીને સારવાર શરૂ કરાઈ હતી. ત્યાર બાદ શિશુને સાયલાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું હતું. ફરજ પરના ડોકટરે નવજાત શિશુને વધારાની સારવાર અર્થે સુરેન્દ્રનગર સ્થિત એમ.જી.જનરલ હોસ્પિટલના આઇ.સી.યુ.માં રીફર કરીને એડમિટ કરાવ્યું છે અને હાલ નવજાત શિશુના આરોગ્યની સ્થિતિ સ્થિર છે.
આમ, ૧૦૮ ઈમરજન્સી સેવા તરછોડાયેલ નવજાત શિશુની વ્હારે આવી અને તેના જીવનને સુરક્ષિત કર્યું છે.