રાજકોટ: આગામી 1 અને 2 જૂનના રોજ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. આ દિવ્ય દરબારને લઇ હવે ગણતરીની ઘડીઓ ગણાઇ રહી છે જેને લઇ આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૌ કોઈ લોકો એ જાણવા આતુર હતા કે તેઓ ક્યાં રોકાણ કરશે?તેમનો ઉતારો ક્યાં હશે? ત્યારે બાબાના આગમન પૂર્વે આયોજકો દ્વારા બાબાનો ઉતારો જાહેર કરવામાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં તેમના ભક્ત કિશોર ખંભાયતાના નિવાસ સ્થાને અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઈટ્સ ખાતે રહેશે તેમને ત્યાં ઉતારો આપવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે.
કિશોર ખંભાયતાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા એક દોઢ વર્ષથી ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલ છું. હું તેમનો ભક્ત છું અને તેમને મને મારા ઘરે આવવાનું વચન આપ્યું હતું અને એ વચન તેઓ પૂર્ણ કરી મારા નિવાસ્થાને ઉતરવાના છે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આખા બિલ્ડિંગને શણગારવામાં આવધે તેમજ અંદર આખું ઘર પણ શણગારવામાં આવશે. આ ક્ષણ ખુદ પરમાત્મા અમારા ઘરે આવતા હોય તેની ખુશી શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. અમે અમારા ઘરના તમામ સભ્યો નીચેના માળે બીજા ફ્લેટમાં રહેવા જશું અને બાબા અને તેમની ટિમ અમારે ત્યાં આશ્રય લેશે અમને ખુબ ખુશી અને આનંદ છે.
કિશોર ખંભાયતા પોતે એક સામાજિક અગ્રણી છે અને સાથે સાથે ઉદ્યોગપતિ પણ છે. તેઓની વિચારધારા રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી છે. રાજકોટના કિશોર ખંભાયતા મધ્યપ્રદેશની મુખ્ય બાગેશ્વરધામ સમિતિ સાથે પણ જોડાયેલા છે.