ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના સાઉથ પોલ પર પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે. જેથી હવે બધા વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. ધૂળ સ્થિર થયા પછી તે બહાર આવશે. તે લગભગ 1 કલાક 50 મિનિટ લેશે. આ પછી વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાના ફોટા પાડીને પૃથ્વી પર મોકલશે. તેમજ આ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું- જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે.તેમજ મોદીએ અગત્યની જાહેરાત કરતાં કહ્યું કે, સૂર્યના વિસ્તૃત અભ્યાસ માટે ઈસરો હવે પછી આદિત્ય એલ-વન મિશન લોન્ચ કરશે. એ પછી શુક્ર પર પર ઈસરો સંશોધન કરશે. ભારત વારંવાર એ સાબિત કરી રહ્યું છે કે સ્કાય ઈઝ નોટ લિમિટ.